અવિસ્મરણીય વારસો: તાંબેકર વાડો – વડોદરાની હેરિટેજ ઇમારત

VADODARA

ઐતિહાસિક નગરી, સયાજીનગરી અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરમાં કેટલીક હેરિટેજ ઇમારતો આવેલી છે જેમાંની એક પોતાની આગવી ઓળખ ધરાવતી હેરિટેજ ઇમારત એટલે રાવપુરા વિસ્તારમાં આવેલ તાંબેકરવાડો. આ ઇમારત પોતાની આગવી ઓળખ એટલા માટે ધરાવે છે કારણ કે શહેરમાં જેટલી હેરિટેજ ઇમારતો છે અને તેમાંય ભિંતચિત્રો ધરાવતી બે કે ત્રણ ઇમારતો છે તેમાંની આ એક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપરના બે માળ સુધી અહીં રામાયણ, મહાભારતના કોટા શૈલીના ચિત્રો આજે પણ જોવા મળે છે.

આ વિષે શહેરના જાણીતા આર્ટ કન્ઝર્વેટર અને ઇતિહાસવિદ ચંદ્રશેખર પાટીલે માહિતી આપતા જણાવ્યું કે, આ ઇમારતનો આગળનો ભાગ આર્કિયોલોજીકલ સ્ટ્રક્ચરસ ઓફ ઇન્ડિયા (ASI) ના અધિકાર હેઠળ છે જ્યારે આ ઇમારતનો પાછળનો ભાગ વડોદરા મહાનગરપાલિકાના અધિકાર હેઠળ આવે છે. આ ઇમારતનો ઇતિહાસ જોઇએ તો સયાજીરાવ પહેલાના સમયગાળામાં એટલે કે વર્ષ 1768 પછી પૂણે થી એક શરાફ એટલે કે વગદાર વ્યક્તિ જેમનું નામ ગોપાળનાઇક તાંબેકર હતું તેઓ અહીં પોતાના આપબળે વડોદરાના દિવાન બન્યા હતા તેઓને રહેવા માટે આ ભવન તૈયાર કરવામાં આવ્યું હતું જેને આપણે ‘તાંબેકર વાડા’ તરીકે ઓળખીએ છીએ.

ત્યારબાદ ગણપતરાવ ગાયકવાડના સમયગાળામાં એટલે કે 1847 થી 1856 સુધીના સમયગાળા દરમ્યાન તાંબેકર ફેમિલીના સભ્ય એવા વિઠ્ઠલ ખંડેરાવ તાંબેકરે આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના બે માળ સુધી ભિંતચિત્રો તૈયાર કરાવ્યા હતા. આ ભિંતચિત્રો કોટાના 13 આર્ટિસ્ટો દ્વારા ચાર વર્ષમાં તૈયાર કરવામાં આવ્યા હતા. કોટાશૈલીમા તૈયાર થયેલા આ ભિંતચિત્રોમાં રામાયણ, મહાભારત તથા જે તે સમયના પશુ પક્ષીઓને આવરી લેવામાં આવ્યા હતા.

આ ભિંતચિત્રો ઉપરના બે માળે આજે પણ યથાવત છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર હવે ફરી રિસ્ટોરેશનની કામગીરી થાય તેની રાહ જુએ છે. સમગ્ર ઇમારતમાં લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે. આગળનો ભાગ એ.એસ.આઇના અધિકાર હેઠળ છે, જ્યારે પાછળનો ભાગ કે જ્યાં સ્કૂલ હતી તે ભાગ જર્જરિત થઇ રહ્યો છે.

વધુમાં ચંદ્રશેખર પાટીલે જણાવ્યું કે, ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અહીં હેરિટેજ ઇમારત રિસ્ટોરેશન માટે ફંડની (લગભગ 2 લાખ રૂપિયા) ફાળવણી તો કરી છે પરંતુ પાલિકાના અધિકારીઓ કે શહેરના રાજકારણીઓને જાણે કોઇ જ રસ જ ન હોય તેમ જણાય છે. અહીં રિસ્ટોરેશનની કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જ્યારે આ અંગે પૂછતાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ એ.એસ.આઇ પર બધું ઢોળી જણાવે છે કે, એ.એસ.આઇ લેખિતમાં કયો ભાગ તેઓના અંડરમાં છે તે સ્પષ્ટ કરે ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરીશુ. આમ શહેરમાં હેરિટેજ ઇમારતોની જાળવણી અને નિભાવણી માટે તંત્ર નિષ્ક્રિય જણાય છે. રાજકારણીઓ અને સતાધીશો ફક્ત શહેરને સ્માર્ટ સિટી બનાવવાની દોડમાં, હોડમાં પડ્યા છે અને આપણી વિરાસત વિસરી રહી છે.

તાંબેકર વાડો માત્ર એક ઈમારત નહીં, પરંતુ વસ્તૂશિલ્પ, પેઈન્ટિંગ અને નગરનિર્માણકલા નું એક જીવંત દસ્તાવેજ છે. આ જેવી હેરિટેજ ઇમારતોની જાળવણી માત્ર ભૂતકાળના ગૌરવને સજાવવાની કામગીરી નથી, પરંતુ ભવિષ્યના પેઢી માટે સંસ્કૃતિના આધારસ્તંભ તરીકે તેને સાચવી રાખવાનો વિચાર છે. વડોદરા જેવી સંસ્કારી નગરીમાં તાંબેકર વાડો જેવી હેરિટેજ ઇમારતો ફરી એકવાર તેના ગૌરવને પામે, અને અહીંના ભિંતચિત્રો વિશ્વભરના કલાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને – એજ આશા અને પ્રયાસો આગળ વધવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *